ફીમેલ જેનિટલ કટિંગની આ પ્રથાને ફક્ત એકલા કાયદા દ્વારા જ સમાપ્ત કરી શકાય નહિં

આ આર્ટિકલ પહેલા સહિયો દ્વારા તારીખ 26 એપ્રિલ 2017ના રોજ અંગ્રેજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. Read the English version here

લેખક : સબિહા બસરાઈ

 દેશ : કેલિફોર્નિયા, અમેરિકા
ઉંમર : 34 વર્ષ

એફ.જી.સી. અથવા બોહરા સમાજ જેને ખતના તરીકે ઓળખે છે, તે મુદ્દો અંધકાર માંથી બહાર આવ્યો છે અને લોકો તેના વિષે ખુલ્લેઆમ વાત કરે છે એ મહત્વનું છે. ઘણા લોકો જાણતા નથી કે આ પ્રથા કેટલી ક્રૂર છે અને બૈરાઓની સેક્સ્યૂઆલિટી સંબંધી શરમને કારણે તેમજ મરદપ્રધાન સમાજની રચના દ્વારા લાગુ કરવામાં આવેલ રીપ્રોડક્ટિવ હેલ્થ (પ્રજનનક્ષમ સ્વાસ્થ્ય)ને કારણે લોકો એ વિષે વાત કરવાનું ટાળે છે. હું આશા રાખુ છું કે નાની દીકરીઓ પર એફ.જી.સી. ની પ્રક્રિયા કરવાના આરોપ હેઠળ એક બોહરા ડૉક્ટરને ગિરફ્તાર કરવામાં આવ્યા હોવાનો ડેટ્રોઈટનો કેસ ઘણાં કુટુંબોને આ પ્રથા ના અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે જેથી, નવી પેઢીની નાની દીકરીઓને આવી પ્રથાઓ હેઠળથી પસાર ના થવું પડે.

આ હાનિકારક પ્રથાનો મુદ્દો ધાર્મિક અથવા અધાર્મિક હોવું નથી. આ મુદ્દો સાચા અથવા ખોટા હોવાનો પણ નથી. પરંતુ, ખરી વાત એ છે કે ખતના પ્રક્રિયા એક અનુચિત કાર્ય છે.

જો કે, ડેટ્રોઈટના કેસમાં બન્યું તેમ, અમેરિકન મુસ્લિમ પરની દેખરેખ ચિંતાઓ ઊભી કરે છે. આપણી મસ્જિદો અને કમ્યૂનિટિ સેન્ટરો પર પહેલાથી જ સરકારી એજન્સીઓ દેખરેખ રાખી રહી છે, જે આપણને જાતીભેદ કરીને આપણા સામાજીક અધિકારોનો ભંગ કરે છે. બધા બોહરાઓએ તે સમજવું મહત્વપૂર્ણ છે કે સરકારી એજન્સીઓના મનમાં આપણું હિત જ હોય એ જરૂરી નથી અને ખતનાના મુદ્દાનો લાભ ઉઠાવી તેઓ વધારે ત્રાસ આપવાનું અને આપણા સમાજ પર વધારે દેખરેખ રાખવાનું ઉચિત માની શકે છે. ખતના પ્રથા સમાપ્ત થવી જોઈએ પરંતુ, મારૂં માનવું છે કે સમાજને શિક્ષિત કરવા દ્વારા અને જમાતો (બોહરા સમાજની સભાઓ)ના આયોજનો દ્વારા જ આ પ્રથાનો સાચો અંત થશે. 

આપણામાંથી કોઈ ઈચ્છતું નથી કે આપણા સમાજમાં જબરદસ્તી કરવામાં આવે પરંતુ, આપણે સમજવું જોઈએ કે ફક્ત કાયદા દ્વારા જ તેનું સમાધાન થઈ શકે નહિં અને કેટલાક કિસ્સાઓમાં, સરકારી એજન્સીના અમુક અધિકારીઓની નકારાત્મક કાર્યવાહી આપણા સમાજની સુરક્ષા અને સલામતી માટે હાનિકારક રહી છે. તેથી, અમેરિકામાં રહેતા બધા બોહરાઓને હું સાવચેત કરું છું કે વકીલની હાજરી વિના સરકારી એજન્સીઓ સાથે ક્યારે વાત કરવી નહિં અને આપણા સમાજે સાથે મળી ખતના જેવી હાનિકારક પ્રથાઓને બંધ કરવાના માર્ગ શોધવા માટે પણ હું બધા બોહરાઓને પ્રોત્સાહિત કરવા માગુ છું.